હેર સલૂન ચલાવનાર બન્યો ફેમસ યોગ ગુરૂ:ધો. 12 પાસ પ્રદીપ કેન્સર-હાર્ટ બ્લોકેજ બીમારી દૂર કરતો

By: Nation Gujarat Team
21 Mar, 2026

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 કરોડની નકલી ચલણી નોટો મામલે 18 માર્ચે સુરતના કથિત યોગગુરૂ પ્રદીપ જોટંગીયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ શખસ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ જોટંગીયા સુરતમાં ‘શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન’ના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો. હાલ પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

આશ્ચર્યની વાત એ છે કે, માત્ર ધોરણ 12 ભણેલો આ નકલી યોગ ગુરૂ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી વગર હૃદયના બ્લોકેજ અને કેન્સજ જેવી જીવલેણ બીમારી દૂર કરી આપવાની ગેરંટી આપતો હતો.

કેન્સર અને હાર્ટ બ્લોકેજની સારવારનો દાવો કરતો પ્રદીપ જોટંગીયાએ જે વીડિયો અપલોડ કર્યા છે તેમાં તે કેન્સર અને હાર્ટ બ્લોકેજ દૂર કરવાનો દાવો કરે છે. તે પોતાના સોફા પર બેસીને દર્દીઓની ફાઈલ જોતો અને સારવાર કરતો હતો. નવાઈની વાત એ છે કે, આ ફાઈલો પર કોઈ આયુર્વેદિક ડોક્ટર કે નિષ્ણાતનું નામ સુદ્ધા નહોતું. માત્ર પ્રદીપનો ફોટો હતો. તે કુદરતી ઉપચાર અને આધ્યાત્મિક શક્તિના નામે દર્દીઓને ભ્રમિત કરીને લાખો રૂપિયા પડાવતો હોવાની આશંકા સેવાઈ રહી છે.

ડિગ્રી વગર યોગ ગુરૂના આયુર્વેદિક ઉપચાર નકલી યોગગુરૂ પાસે આયુર્વેદ કે નેચરોથેરાપીની એકપણ માન્ય ડિગ્રી નથી. તેમ છતાં તે લાંબા સમયથી લોકોને આયુર્વેદિક ઉપચારના નામે છેતરી રહ્યો હતો. તેની સંસ્થાના પેમ્ફ્લેટ્સ અને ફાઈલ પર આયુર્વેદિક ઉપચાર, કુદરતી ઉપચાર અને યોગ શિબિર જેવી લોભામણી જાહેરાતો લખવામાં આવતી હતી. કોઈપણ મેડિકલ બેગ્રાઉન્ડ વગર તે જે રીતે ગંભીર બીમારીની સારવાર કરતો હતો તેનાથી અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હોવાની શક્યતા પોલીસ તપાસમાં જણાઈ રહી છે.

દર્દીના પેટમાંથી પાણી કાઢવાનો વીડિયો એક વીડિયોમાં પ્રદીપ એક કેન્સર પીડિત મહિલાની સાવરા કરતો દેખાય છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે, મહિલાનું એક-બે વખથ કીમો થઈ ચૂક્યું છે અને પેટમાં 2.5 લીટર પાણી ભરાયું છે. આ દરમિયાન આશ્રમની મહિલા સેવિકાઓ દર્દીના પેટમાં પાઈપ લગાવીને જારમાં પાણી કાઢતી નજરે પડે છે. કોઈપણ સર્જિકલ જ્ઞાન વગર આ રીતે અસલામતી પૂર્વક કરવામાં આવતી પ્રક્રિયા અત્યંત ગંભીર ગુનો માનવામાં આવે છે.

હાર્ટ બ્લોકેજની સારવારના નામે લોકોને ફસાવતો ફાઉન્ડેશનના પેજ પર અન્ય એક વીડિયો મુકવામાં આવ્યો છે. જેમાં કામરેજનો એક વ્યક્તિ દાવો કરે છે કે, તેને હૃદયમાં બ્લોકેજ હતું અને ડોક્ટરોએ સ્ટેન્ટ મૂકવાની સલાહ આપી હતી. જોકે, પ્રદીપ પાસે આવ્યા બાદ કુદરતી ઉપચાર અને યોગથી તેનું બ્લોકેજ ખુલી ગયું હોવાનો તે દાવો કરે છે. આવા ખોટા પ્રચાર દ્વારા પ્રદીપે અનેક લોકોને જાળમાં ફસાવ્યા હતા. લોકો આ ગુરૂજીના આશીર્વાદ માનીને પોતાની જીવલેણ બીમારીઓમાં ડોક્ટર પાસે જવાનું ટાળતા હતા.

આશ્રમમાં ઓપરેશન થિયેટર જોઈ પોલીસ પણ સ્તબ્ધ પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, આ નકલી યોગગુરૂએ પોતાના આશ્રમમાં જ ઓપરેશન થિયેટર જેવી વ્યવસ્થા ઉભી કરી હતી. આશ્રમમાં 2 એવા રૂમ મળી આવ્યા છે જે ઓપરેશન થિયેટર તરીકે વપરાતા હતા, જેમાં તમામ મેડિકલ સાધન-સામગ્રી પણ હતી. આ સાધનોનો ઉપયોગ કેવી રીતે અને કોના પર કરતો હતો તે મુદ્દે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

ભગવાન કૃષ્ણના વેશમાં મટકી ફોડતો નજરે પડ્યો નકલી યોગગુરૂ પ્રદીપની કરતૂતો એક પછી એક બહાર આવી રહ્યા છે. ધરપકડ બાદ તેના એવા વીડિયો સામે આવ્યા છે. જેમાં તે ભક્તિના નામે પાંખડ કરતો જોવા મળે છે. એક વીડિયોમાં આ મહાઠગ ભગવાન શ્રીકૃષ્ણનો વેશ ધારણ કરીને ભક્તોની વચ્ચે મટકી ફોડતો નજરે પડે છે. શ્રદ્ધાળુઓને આકર્ષવા અને પોતાની છબી એક દૈવી પુરૂષ તરીકે ઉભી કરવા તે આવા ધાર્મિક નાટકો કરતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

મહારાણા પ્રતાપના સોન્ગ પર પાખંડીની અશ્વ સવારી માત્ર આધ્યાત્મિકતા જ નહીં પણ પ્રદીપને રજવાડી જીવનશૈલી જીવવાનો પણ ભારે શોખ હતો. તપાસ દરમિયાન તેનના એવા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે કિંમતી ઘોડા પર સવાર થઈને મહારાણા પ્રતાપના સોન્ગ ઉપર અશ્વ સવારી કરતો જોવા મળે છે.

પ્રદીપ પાસેથી કોઈ મેડિકલ ડિગ્રી મળી નથી: પીઆઇ આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એસ.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, નકલી નોટના કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પ્રદીપ માત્ર ધોરણ 12 સુધી જ ભણેલો છે. અત્યાર સુધીની તપાસમાં તેની પાસેથી આયુર્વેદિક ઉપચાર કે અન્ય કોઈપણ પ્રકારની તબીબી પ્રેક્ટિસ માટેની માન્ય ડિગ્રી મળી આવી નથી.


Related Posts

Load more